Pradeep Mishra Controversy : મધ્યપ્રદેશ (સીહોર)ના કથાકાર પ્રદીપ મિશ્રાના નિવેદનને લઈને વિવાદ થયો હતો. નિવેદન બાદ બ્રજના સંતો અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સાધુ, સંતો અને ગોસ્વામીઓએ પંચાયત યોજી હતી અને માંગણી કરી હતી કે પ્રદીપ મિશ્રા રાધા રાણી મંદિરમાં આવીને નાક રગડીને માફી માંગે. ત્યારે હવે પ્રદીપ મિશ્રા શનિવારે બરસાના (Barsana) પહોંચ્યા હતા. ત્યાં તેમણે માતા રાધા રાણીના દર્શન કર્યા અને દંડવત થઈને નાક રગડીને માફી માંગી હતી. આ સાથે તેમણે બે હાથ જોડીને બ્રજવાસીઓ માફી પણ માંગી હતી. એવું માનવામાં આવે છે કે તે બ્રજના ઋષિ-મુનિઓની માફી માંગવા બરસાના આવ્યા છે. બરસાને બાલી શ્રીજી રાધા રાણી અને ભગવાન શ્રી કૃષ્ણને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ બ્રજના લોકો દ્વારા પ્રદીપ મિશ્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
ADVERTISEMENT
મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય તો માફી માંગું છું : પ્રદીપ મિશ્રા
બરસાના પહોંચેલા પ્રદીપ મિશ્રાએ કહ્યું હતું કે, 'આજે હું અહીં શ્રી રાધા રાણીના ચરણોમાં આવ્યો છું. ખુદ લાડલીજીએ ઈશારો કરીને બોલાવ્યો. માતા રાધા રાણીના દર્શન કર્યા હતા. મારી વાત અને મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. રાધા રાણી, હું કિશોરી જીની માફી માંગુ છું. મારા શબ્દો અને વાણીથી જો બ્રજના લોકોને ઠેસ પહોંચી હોય તો હું તેમની સમક્ષ પ્રણામ કરીને માફી માંગુ છું.
બ્રજના સંતો પ્રદીપ મિશ્રા પર ગુસ્સે થયા
કુબેશ્વર ધામના પંડિત પ્રદીપ મિશ્રાએ રાધા રાણીને લઈને એક નિવેદન આપ્યું હતું, જેના પર બ્રજના સંતો ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે પ્રદીપ મિશ્રાએ માફી માંગવી જોઈએ. આ માટે તેમણે ત્રણ દિવસનો સમય પણ આપ્યો હતો. જોકે, પ્રદીપ મિશ્રાએ તે દરમિયાન માફી માંગી ન હતી.
પ્રેમાનંદ મહારાજે પણ ટિપ્પણી કરી હતી
આ સાથે જ પ્રેમાનંદ મહારાજને પણ આ વિવાદની માહિતી મળી. જ્યારબાદ તેમણે કહ્યું હતું કે વ્યાસ મંચ પર બેસતા પહેલા કોઈપણ વ્યક્તિએ પોતાના ગુરુઓ પાસેથી કથાનું રહસ્ય જાણી લેવું જોઈએ અને સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. તે પછી જ કોઈ પણ ઘટના વિશે જાહેરમાં બોલવું જોઈએ. પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું હતું કે શ્રીજી વિશે કંઈ જાણવું હોય તો વૃંદાવનના મહેલમાં બેસી જવું જોઈએ. તેઓ અહીં જ્ઞાન મળી જશે.
ADVERTISEMENT