સાંસદ રાજેશ ચુડાસમાની ધમકી બાદ ભાજપ નેતામાં ફફડાટ, કહ્યું- 'મને કંઈ થયું તો...'

Gujarat Tak

24 Jun 2024 (अपडेटेड: Jun 24 2024 5:03 PM)

MP Rajesh Chudasama : જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરી ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે જાહેર મંચ પરથી ધમકી આપી હતી

MP Rajesh Chudasama

સાંસદ રાજેશ ચુડાસમાની વધશે મુશ્કેલી?

follow google news

MP Rajesh Chudasama :  જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરી ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે જાહેર મંચ પરથી ધમકી આપી હતી કે 'ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ મને જે જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી' ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભીત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે 'જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે'

આ પણ વાંચો

રાકેશ દેવાણીએ કરી અરજી

ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે ખુલ્લીને બોલનારા અને  વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઈ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે જેનાથી જૂનાગઢનું રાજકારણ ફરી એક વાર ગરમાયું છે. રાકેશ દેવાણીએ આ મામલે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, નામાંકિત અને સેવાભાવી ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ આવ્યું હતું, તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી સમયે અતુલ ચગના પરિવાર સાથે સમાધાન થઈ ગયું હોવાની કથા કથિત કહાનીઓ વહેતી કરી હતી, આજદિન સુધી તેમની ધરપકડ નથી થઈ.

માંડ માંડ જીત્યા છે રાજેશ ચુડાસમાઃ રાકેશ દેવાણી

રાકેશ દેવાણીએ કહ્યું કે, રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાને હજુ સુધી કોર્ટમાંથી ક્લીનચીટ આપવામાં આવી નથી. પોલીસે તેમની ધરપકડ કરીને તેમનું નિવેદન કોઈ જાહેર કર્યું નથી. આ રાજેશ ચુડાસમા નરેન્દ્ર મોદીએ કરેલા કામ અને કાર્યકરોએ કરેલી ખૂબ જ મહેનતથી માંડ માંડ જીત્યા છે. ચૂંટણી જીત્યા બાદ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ રાજેશ ચુડાસમાએ મંચ પરથી ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે લોકો નડ્યા છે તેને મુકવાનો નથી. તેમણે કોઈનું નામ લીધું નથી. 

'મને કઈ થયું તો રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે'

મેં ખુલ્લેઆમ આ રાજેશ ચુડાસમાની વિરોધ કર્યો હતો અને મેં લોકોને આ રાજેશ ચુડાસમાને મત ન આપવાની પણ અપીલ કરી હતી. એટલે મારા જીવને જોખમ છે, મે જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસ અને મુખ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે. જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે તેવું રાકેશ દેવાણીએ કહ્યું છે.

 

રાજેશ ચુડાસમાએ શું આપી હતી ધમકી?

લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા બેઠકના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ દરમિયાન ભાજપના સાંસદે સ્ટેજ પરથી સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ મને જે-જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને મૂકવાનો નથી. 

ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ

    follow whatsapp