Canopy collapses at Rajkot Airport: રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શરૂઆતી વરસાદમાં જ હિરાસર એરપોર્ટના બાંધકામની નબળી કામગીરીની પોલ છતી છે. દિલ્હી બાદ આજે સવારે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી. જોકે, આ દરમિયાન અહીં કોઈ પેસેન્જર હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2023માં હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી
આ મામલે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાએ એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, ટેમ્પરરી ટર્મિનલની બહાર વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
કોંગ્રેસ નેતાએ મોદી સરકારને ઘેરી
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 27મી જુલાઈ 2023ના રોજ નરેન્દ્ર મોદીએ રાજકોટના હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેની છત આજે પ્રથમ વરસાદમાં જ ધરાશાયી થઈ ગઈ છે. જ્યારે મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખૂબ જ બોગસ ક્વોલિટીના રસ્તાઓથી લઈને અન્ય કામો કરવામાં આવતા હતા અને હજુ પણ એવા જ કામ કરવામાં આવે છે. કારણ કે મોદીજી કોઈપણ કોન્ટ્રાક્ટ ક્વોલિટી નહીં, પાર્ટી ફંડ અને કમિશન જોઈને આપે છે.
હવે જનતા સમજી ગઈ છેઃ અમિત ચાવડા
તેમણે કહ્યું કે, ટેક્સના નામે લૂંટ મચાવીને બોગસ ક્વોલિટીના દેખાડા અને પીઆરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને મોદી સરકારે લોકોના જીવ સાથે રમત રમી છે. કોઈ જવાબદારી સ્વીકારે કે ન સ્વીકારે, હવે જનતા સમજી રહી છે કે આમાં ખરેખર દોષ કોનો છે. ભ્રષ્ટાચારની તમામ સીમાઓ પાર, મોદી સરકાર.
દિલ્હીમાં પણ સર્જાઈ હતી દુર્ઘટના
આના એક દિવસ પહેલા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર આવી જ એક ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડતા એક કેબ ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. એરપોર્ટની છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે ઘણી ગાડીઓ દબાઈ ગઈ હતી. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે લોખંડના બીમ કાર પર પડતાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો મદદ માટે બૂમો પાડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT