સનાતન સંત સંમેલન : કમિટી અને રણનીતિ તૈયાર, શેરનાથ બાપુને બનાવાયા અધ્યક્ષ

Gujarat Tak

11 Jun 2024 (अपडेटेड: Jun 11 2024 8:37 PM)

સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામે આજે (11 જૂન) સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાઈ હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવામાં આવી રહી છે.  જેને લઈને ત્રીજું મહાસંમલન યોજાયું છે. 

Sant Sammelan Rajkot

સંત સંમેલન - રાજકોટ

follow google news

Sant Sammelan Rajkot : સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામે આજે (11 જૂન) સનાતન ધર્મ સંત સંગોષ્ટી યોજાઈ હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવામાં આવી રહી છે.  જેને લઈને ત્રીજું મહાસંમલન યોજાયું છે. 

આ પણ વાંચો

આ સંત સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ચારપડાના સંત મુક્તાનંદ બાપુ, જૂનાગઢના મહંત યોગીપીઠ  શેરનાથ બાપુ, મહામંડલેશ્વર ઇન્દ્રભારતી બાપુ, વલકુ બાપુ, શ્રીનિર્મળાબા સહિતના સંતો-મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો એકઠા થયા હતા. આ સંમેલનમાં દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાઈ. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાઈ. 

સંતોએ તૈયારી કરી સનાતન કમિટી

સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટના ગુજરાતના અધ્યક્ષ શેરનાથ બાપુને બનાવાયા છે. જ્યારે દુધરેજના મહંત કનિરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. લલિતકિશોર મહારાજની મહામંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે દિલીપદાસજી બાપુ, મહેશગિરી બાપુ, નિર્મળબા, હરિહરાનંદ ભારતી, ઇન્દ્રભારતી બાપુ, સતાધારના વિજય બાપુ, કરશનદાસ બાપુ, દુર્ગાદાસજી મહારાજ, તોરણીયાના રાજેન્દ્રદાસજી મહારાજ, અવરકિશોરદાસજી મહારાજ, રાજપીપળાના મહંત, ભરતકિશોરજી મહારાજ, જલારામ વિરપુરના રઘુરામ બાપા, નિજાનંદ સ્વામી, મોરારિ બાપુ અને રમેશભાઇ ઓઝા સભ્ય તરીકે કમિટીમાં જોડાયા છે. કમિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી પણ સભ્ય તરીકે જોડાયા છે.

સંતોએ ઘડી મોટી રણનીતિ

ચાપરડાના મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, 'આજની ધર્મસભામાં દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય અહીં ઉપસ્થિત રહ્યા છે. સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય છે. બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. આ ટ્રસ્ટથી સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા કરવામાં આવશે. અમે ગામે ગામે યજ્ઞ કરી લોકોને આ સંગઠનમાં જોડીશું. સંતો દ્વારે દ્વારે સમાજ ઉપયોગી કામગીરી કરશે. ગુજરાતના પેથાપુરમાં આ સંગઠનનું કાર્યાલય શરૂ થશે.'

આ પણ વાંચો - 'મારા જ ગુરુ મોટા આ વાત ન કરવી...', સ્વામિનારાયણ સંપ્રદાય અંગે ભાઈ શ્રી અને મોરારી બાપુનો કટાક્ષ

'ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો'

મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ છે. સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા માટે કામ કરાશે. વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવાનો મુદ્દો મુકવામાં આવ્યો છે. યુવક-યુવતી ભણે અને સાધુ બને અને મઠની રચના કરાવામાં આવે. અન્યથા મઠોની પરિસ્થિતિ ખરાબ થશે. કથાકારો, સાહિત્યકારો કે જેમની પાસે ઓડિયન્સ છે તેઓને બોલાવવામાં આવશે.

'આ મંડળ એ દંગલ માટે નથી'

મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, '100 કરોડથી વધુ દેશમાં હિન્દુ લોકો છે. જો તેઓ એક થાય તો વિશ્વની કોઈ મહાસત્તા સામે ન આવે. કોમવાદ કરવા નથી માગતા. અમે કોઈની લીટી ભૂસી નથી. હિંદુ સમાજના દેવતાઓ વિશે કોઇ ટિપ્પણી કરશે તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાશે. આપણે આપણી પરંપરા ભૂલી ગયા છીએ. નેતૃત્વનો સ્વીકાર કરવો આવશ્યક છે. રાષ્ટ્રીય સમસ્યાને પ્રાધાન્ય આપવી જોઇએ. આ મંડળ એ દંગલ માટે નથી. સનાતન ધર્મ સામેના વાણી વિલાસ રોકવા માટેનું આ એક સંગઠન છે.'

'સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરો'

સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ મુદ્દે ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ કહ્યું, 'આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માંગ કરાઈ છે. સ્વામીનારાયણ ગુરુકુલમાં બનેલી ઘટના અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પગલાં લેવા જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને તેની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ.'

મુક્તાનંદ બાપુએ કહ્યું હતું કે, 'અમારી પાસે એ લખાણોની યાદી છે અને એ લખાણો દૂર કરવા અંગે અમે વિનંતિ કરીએ છીએ. કારણ કે ભાઈઓ તેનાથી એક જ ધર્મના લોકો વચ્ચે તિરાડ પડે છે, આ ત્રુટીઓ સુધારી લે. કોઈપણ દેવી-દેવતાને નીચા ચીતરવા એ વ્યાજબી નથી. મનસ્વી રીતે પોતાની લીટી મોટી કરવા માટે એ બિલકુલ વ્યાજબી નથી.'

'જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે'

મુક્તાનંદ બાપુએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'જે પિતા હોય તે પિતા રહે છે અને જે દીકરા હોય એ દીકરા રહે છે. સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉઠ્યો હતો. હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવતા સનાતનીઓમાં રોષ ફેલાયો હતો. વિવાદ વકરતા મંદિર પરિસરમાંથી ભીંતચિત્રો હટાવાયા હતા.'

અમે સનાતન ધર્મની સાથે, સંપ્રદાયમાં દેવી-દેવતાઓનું અપમાન નથી : એસપી સ્વામી

ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીએ જણાવ્યું હતું કે, 'અમે પણ સનાતનનો ભાગ છીએ. સનાતનને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને આદેશ કર્યો છે કે, કોઇ દેવી-દેવતાઓનું અપમાન ન કરવું. દેવી-દેવતાઓ વિશે લખવામાં આવ્યુ હોય તે વાંચવું જોઇએ નહીં. અમે આ આચાર્ય પરંપરામાંથી આવીએ છીએ. શિક્ષાપત્રીમાં દેવી દેવતાઓના અપમાનની કોઈ વાત લખી નથી. અમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મની સાથે છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવી-દેવતાઓનું અપમાનનું લખાયેલું નથી.

સરકાર સાથે પ્રેમભાવથી સેતુબંધ બની આગળ વધીશું : રામેશ્વર બાપુ

રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યુ હતું કે, 'જ્યાં જ્યાં સનાતન ધર્મને હાનિ પહોંચે છે તેના સુધારા માટે વિચારણા કરાશે અને આ અંગે સરકાર સાથે પણ પ્રેમભાવથી સેતુબંધ બની વિચારણા કરી આગળ વધવામાં આવશે.'

    follow whatsapp