'અયોધ્યાની જેમ અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું', BJPના ગઢમાં Rahul Gandhi નો હુંકાર

Gujarat Tak

ADVERTISEMENT

રાહુલ ગાંધીની તસવીર
Rahul Gandhi
social share
google news

Rahul Gandhi Gujarat Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી પાલડી ખાતેના રાજીવ ગાંધી ભવને પહોંચ્યા હતા અને કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તો VHP અને બજરંગદળ દ્વારા વિરોધની આશંકા વચ્ચે પાલડીમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરીને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતી હોવાનો દાવો કર્યો હતો.

કોંગ્રેસ કાર્યાલય પર હુમલાની ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે તમારી ઓફિસમાં તમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે. તમારે ડરવાનું નથી. ગુજરાતની ચૂંટણીમાં આપણે બધા મળીને આમને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતમાં લડશે અને અયોધ્યામાં અમે જેવી રીતે હરાવ્યા છે તેવી રીતે ગુજરાતમાં હરાવીશું. જેવા આ અયોધ્યામાં હાર્યા તેવા અહીં હારવા જઈ રહ્યા છે. તમારે એક કામ કરવાનું છે, તમારે ગુજરાતની જનતાને એક વાત કહેવાની છે. તમારે ડરવાનું નથી. તમે ડર્યા વગર ભાજપ સામે લડી ગયા, તો ભાજપ ઊભું નહીં રહી શકે.

કોંગ્રેસ પાર્ટીનો વિચાર ગુજરાતથી શરૂ થયો હતો

તેમણે કહ્યું કે, આ RSS વાળા અંગ્રેજો સાથે ઊભા રહી ગયા હતા. અમે લડ્યા હતા. અમે દેશને કહ્યું હતું ડરો નહીં, ડરાવશો નહીં. ભાજપે હાથ જોડી લીધા હતા. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જીતશે અને ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ પાર્ટી બનશે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું ડરો નહીં, ડરાવશો નહીં. આ આગ ગુજરાતથી શરૂ થઈ હતી. આજે કોંગ્રેસ પાર્ટી છે તે પાર્ટીનો વિચાર ગુજરાતથી શરૂ થયો હતો.  

ADVERTISEMENT

ગુજરાત કોંગ્રેસમાં પણ ખામીઓ છે

જેમ આ લોકોએ આપણી ઓફિસ તોડી, તેવી જ રીતે અમે તેમની સરકાર તોડવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીમાં ખામી નથી એવું નથી. એક કાર્યકર્તાએ મને જણાવ્યું કે, બે પ્રકારના ઘોડા છે, એક રેસનો ઘોડો હોય છે, બીજો લગ્નનો ઘોડો છે. ક્યારેક ક્યારેક કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે. આ તમે બંધ કરાવી દો. તમે રેસના ઘોડાને રેસમાં મોકલો અને લગ્નના ઘોડાને લગ્નમાં મોકલો. આ આપણે ગુજરાતમાં કરવાનું છે. જે અમારા લગ્નના ઘોડા છે તેમને લગ્નમાં નચાવી દેવાના છે. આ કામ સીરિયસ થઈને કરવાનું છે. આપણે પાછલી ચૂંટણીમાં ભાજપ સામે સરખી રીતે નથી લડ્યા. આ પહેલા 2017માં આપણે 3-4 મહિના લડ્યા અને તમે પરિણામ જોયું. ગુજરાતના સીનિયર નેતાઓએ મને બસમાં કહ્યું કે, રાહુલજી ગુજરાતમાં આપણને 40 સીટો મળશે. મેં તેમને કહ્યું કે આપણે ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. હજુ 3 વર્ષ છે, 3 મહિનામાં આપણે ફિનિશ લાઈનને સ્પર્શી ગયા હતા. 3 વર્ષમાં આપણે ફિનિશ લાઈનથી આગળ વધી જઈશું. 

અમે મોહબ્બતથી એમની સરકાર તોડીશું

ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા. AICCની ટીમ, રાહુલ ગાંધી, મારી બહેન, બધા સીનિયર નેતા તમારી સાથે ઊભા હશે. તેમની સાથે મળીને એમની સરકાર તોડીશું. નફરતથી નહીં મોહબ્બતથી અમે તેમને હરાવીશું. નરેન્દ્ર મોદીનું જે વિઝન હતું, તે ફુગ્ગો ફૂટી ગયો છે. જે ખેડૂતો, મજૂરોનું દર્દ ન સમજી શકે, તે ગુજરાતને કેવી રીતે રસ્તો બતાવી શકે. હવે તમારું કામ છે ગુજરાતને વિઝન આપવું. તમે અમારો મેનિફેસ્ટો જોયો, તેવો મેનિફેસ્ટો બનાવવાનો છે. ગુજરાતના લોકોને પૂછીને અમે મેનિફેસ્ટો બનાવીશું. છેલ્લે તેમણે કહ્યું, તમારા શહેરમાં જગન્નાથ યાત્રા થઈ રહી છે, તમને બધા અને યાત્રામાં ભાગ લેનારા લોકોને શુભકામના અને દિલથી પ્રેમ. 

ADVERTISEMENT

અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ? 

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને બબ્બર શેર કરીને સંબોધ્યા હતા. તેમણે અયોધ્યામાં ભાજપની હાર પર વાત કરતા કહ્યું કે, ભાજપની સંપૂર્ણ મૂવમેન્ટ રામ મંદિરની અયોધ્યાની મૂવમેન્ટ હતી. શરૂઆત અડવાણીજીએ કરી હતી. રથયાત્રા થઈ હતી. તેમાં તમે અડવાણીજીને રથમાં જોયા હતા. પાર્લામેન્ટમાં હું વિચારી રહ્યો હતો કે તેમણે રામ મંદિરનું ઉદ્ધાટન કર્યું અને તેમાં અદાણી દેખાયા, અંબાણી દેખાયા પરંતુ ગરીબ વ્યક્તિ ત્યાં કોઈ નહોતા. તેનું પરિણામ હું બેસું તેની બાજુમાં અયોધ્યાના સાંસદ બેસે છે. મેં તેમને પૂછ્યું કે તમે મને સમજાવો. ભાજપની આખી રાજનીતિ અયોધ્યાની રાજનીતિ હતી. ચૂંટણી પહેલા તેમણે રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, તો ત્યાં આ શું થયું?

ADVERTISEMENT

તો તેમણે કહ્યું કે, રાહુલ જી, મને 6 મહિના પહેલાથી ખબર હતી કે હું અયોઘ્યાથી લડીશ. જે દિવસે મને જાણ થઈ, તે દિવસે મને ખબર હતી કે હું લડીશ જ નહીં ઈન્ડિયા ગઠબંધન અયોધ્યાથી જીતવા જઈ રહ્યું છે. હું અયોધ્યામાં લોકો સાથે વાત કરતો તો લોકો માત્ર 2-3 વાત કહેતા. પહેલા મંદિર માટે ઘણા બધા લોકોની જમીન લેવાઈ, દુકાનો તોડાઈ. આજ સુધી તેમને સરકારે વળતર નથી આપ્યું. જ્યાં પણ તે જતા જ્યાં લોકો કહેતા અમારી જમીન લેવાઈ, સરકારે અમને વળતર નથી આપ્યું.

બીજું અયોધ્યાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું, જમીન કોની ગઈ? અયોધ્યાના ખેડૂતોની. આજ સુધી તેમને યોગ્ય વળતર નથી મળ્યું. અયોધ્યાની જનતાને ગુસ્સો આવ્યો કે જ્યારે તેમણે જોયું કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં અયોધ્યાનો એક પણ વ્યક્તિ નહોતો.

    follow whatsapp

    ADVERTISEMENT