ખૂની પ્રણય ત્રિકોણ: પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળીને પહેલા પ્રેમીનો કાંટો કાઢી નાખ્યો

Gujarat Tak

ADVERTISEMENT

Love Triangle Murder
Love Triangle Murder
social share
google news

Halol Love Traingle Murder Case: પ્રેમ આંધળો હોય એવી કહેવત આપણે સાંભળી જ છે પરંતુ પ્રેમમાં ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમના પ્રણય ત્રિકોણમાં એક યુવકની પ્રેમિકાએ જ બીજા પ્રેમી સાથે મળીને ઘાતકી હત્યા કરી નાખ્યાનું સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં બનેલા હત્યાકાંડના આ બનાવથી ચકચાર મચી જવા પામી છે. 

ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ પરત આવ્યો

પંચમહાલના હાલોલ તાલુકાના નવાકુવા ગામનો કીર્તન બારીયા તેના ભાઈ અને ભાભી સાથે કબીર ફળિયામાં રહે છે. તેના માતા પિતા પાવાગઢ ખાતે રહે છે. ગત 1લી જૂનના રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ તે ફોન પર કોઈકની સાથે બોલચાલી કરી અચાનક બાઇક લઈ નીકળી ગયો હતો. મૃતક કીર્તનના ભાઈનું કહેવું છે કે, ઘરેથી નીકળ્યા બાદ બીજે દિવસે નજીકના બામણકુવા-કાકલપુર ગામની વચ્ચે આવેલા નાળામાંથી કીર્તનની હત્યા કરાયેલ હાલતમાં સેલો ટેપથી બાંધી દીધેલી લાશ અને નજીકથી તેની બાઇક મળી આવી હતી. 

હત્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બાઇક નંબરની મદદથી લાશની ઓળખવિધી માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. સૌ પ્રથમ તો પોલીસે અકસ્માતની નોંધ કરી લાશની ઓળખની સાથે સાથે હત્યાની શંકા લાગતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન કીર્તનના પરિવારની પૂછપરછમાં રાત્રે કોઈ સાથે ફોન પર માથાકૂટ કરી નીકળી ગયો હોવાની માહિતી મળતા પોલીસે કોલ ડિટેલના આધારે પણ તપાસ તેજ કરી હતી. જે સ્થિતિમાં કીર્તનની લાશ મળી હતી તે જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ તે હત્યા હોવાનું પોલીસને વિશ્વાસ હતો. પરંતુ પી.એમ રિપોર્ટ અને કોલ ડિટેલના આધારે પોલીસની શંકા હકીકતમાં પરિવર્તિત થઈ કે આખરે કીર્તનની કોઈ બોથડ હથિયાર વડે માથાના ભાગે ફટકા મારી હત્યા કરી દેવાઈ છે.

ADVERTISEMENT

પ્રેમિકાએ જ પ્રેમીનો જીવ લીધો

પરંતુ આખરે કોણે અને શા માટે હત્યા કરી? તે અંગે પોલીસ અસમંજસમાં હતી. ત્યાં જ પોલીસે કોલ ડિટેલના આધારે જેની પર કીર્તનનો છેલ્લો ફોન ગયો હતો તે હાલોલ તાલુકાના જ વાવ ગામની ભાવના નામની યુવતીની પૂછપરછ કરી. ભાવનાની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે જાણીને તો પોલીસ પણ ચોંકી ઉઠી. ભાવનાએ જણાવ્યું કે, તેને કીર્તન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ તેના પોતાના ગામના જ યુવક નિમેષ બારીયા સાથે પણ છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા. પોતાના બંને પ્રેમીઓ વચ્ચે ચકમક થતી હોવાની વાત પણ ભાવનાએ પોલીસને જણાવતા કહ્યું કે, હત્યાની રાત્રે તેણે જ કીર્તનને ફોન કરીને બોલાવ્યો હતો. પ્રેમિકા ભાવના અને તેના પ્રેમી નિમેષે ભેગા મળી પ્રેમી કીર્તનના નામનો કાંટો દૂર કરવા યોજના બનાવી. આ મુજબ ભાવનાએ કીર્તનને ઝગડો કરી રાત્રે જ બોલાવ્યો હતો. જ્યાં અગાઉથી ડંડા અને છરી જેવા હથિયાર સાથે તૈયાર ઉભેલા ભાવનાના પ્રેમી નિમેષ બારીયા અને તેના વાવ ગામના જ ત્રણ મિત્રો કમલેશ બારીયા, સુમિત બારીયા અને અન્ય એકની મદદ લઇ તેને રસ્તામાં જ માર મારી હત્યા કરી તેની લાશને અવાવરું નાળામાં ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના પ્રેમના રસ્તામાં આડખીલી રૂપ કીર્તનનું નિમેષે તેના મિત્રો સાથે મળી ઢીમ ઢાળી દીધું હતું.

પ્રેમિકા અને બીજા પ્રેમી સાથે નોંધાયો ગુનો

આ સમગ્ર મામલે કીર્તનના પરિવારજનો એ પહેલાં ગુમ થવા અંગે ત્યાર બાદ પોતાના દીકરાની હત્યા બાબતે પોલીસ ફરીયાદ કરતા પોલીસે સૌ પ્રથમ અકસ્માતની નોંધ કરી. ત્યાર બાદ પી.એમ રિપોર્ટ અને સ્થળ પરથી મળેલા પુરાવા, અને કોલ ડિટેલના આધારે હત્યાનો ગુનો નોંધી હત્યારા નિમેષને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ હત્યારા નિમેષની ધરપકડ કરી બાકીના તેના મિત્રો ની શોધખોળ આરંભી દીધી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT