પુતિન સાથે થઈ ચૂકી છે વાત, હવે યૂક્રેન જશે PM મોદી, યુદ્ધ ખતમ થવાની શક્યતા

Gujarat Tak

• 04:49 PM • 27 Jul 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ 23 ઓગસ્ટના રોજ યૂક્રેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે.

PM Modi and President Volodymyr Zelenskyy

પીએમ મોદી અને વોલોદિમિર ઝેલેન્સકી

follow google news

PM Modi will Visit Ukraine : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ 23 ઓગસ્ટના રોજ યૂક્રેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાનનો આ પહેલો યૂક્રેન પ્રવાસ છે. પીએમ મોદી એવા સમયે યૂક્રેન જઈ રહ્યા છે જ્યારે તેઓ થોડા દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને મોસ્કોથી પરત ફર્યા છે.

પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી

લગભગ એક મહિના પહેલા પીએમ મોદીએ ઈટાલીમાં આયોજિત G7 સમિટમાં ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ્યારે પીએમ મોદી રશિયાની મુલાકાતે હતા, ત્યારે બંને દેશો પરમાણુ ઊર્જા અને જહાજ નિર્માણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સંમત થયા હતા.

રશિયામાં પીએમ મોદીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના 'અસાધારણ યોગદાન' માટે પુતિન દ્વારા રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ' એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. વડાપ્રધાન મોદીએ 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે પુતિનના આમંત્રણ પર 8 જુલાઈ, 2024ના રોજ રશિયાની બે દિવસીય મુલાકાત લીધી હતી.

યૂક્રેને રશિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા

રશિયા અને યૂક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે કે ન તો યૂક્રેન ઘૂંટણિયે પડવા તૈયાર છે. હાલમાં જ યૂક્રેનના એક યુદ્ધ કેદીની પત્નીએ પુતિનની સેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. લારિસા સાલેવા નામના યૂક્રેનિયન યુદ્ધ કેદીની પત્નીએ રશિયા પર મૃત સૈનિકોના અંગો ચોરીને વેચવાનો આરોપ લગાવ્યો છે.

ફ્રીડમ ટુ ડિફેન્ડર્સ ઓફ મેરીયુપોલ જૂથના પ્રમુખ લારિસાનો દાવો છે કે યૂક્રેનિયન સૈનિકોના મૃતદેહો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના દ્વારા પરત કરવામાં આવ્યા હતા, જેમાં તેમને  ઘણા અંગો ગુમ છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને કાવતરું ગણાવ્યું છે.

    follow whatsapp