Colourful Shivling: ભારતનું ચમત્કારી મંદિર, જ્યાં શિવલિંગનો દિવસમાં 3 વખત બદલાય છે કલર

Gujarat Tak

• 04:50 PM • 21 Apr 2024

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાનામાં એક રહસ્ય ધરાવે છે. આ મંદિરોનો ઈતિહાસ અને કહાની ખૂબ જ રસપ્રદ છે. તો કેટલાક મંદિરોમાં અનેક રહસ્યો છુપાયેલા છે.

Colourful Shivling

દિવસમાં 3 વખત રંગ બદલે છે ચમત્કારિક શિવલિંગ

follow google news

ભારતમાં એવા ઘણા મંદિરો છે જે પોતાનામાં એક રહસ્ય ધરાવે છે. આ મંદિરોનો ઈતિહાસ અને કહાની ખૂબ જ રસપ્રદ છે. તો કેટલાક મંદિરોમાં અનેક રહસ્યો છુપાયેલા છે. વિજ્ઞાન પણ આજ સુધી આ રહસ્યો ઉકેલી શક્યું નથી. આવું જ એક રહસ્યમય મંદિર રાજસ્થાનના ધોલપુરમાં આવેલું છે, જ્યાં સ્થાપિત શિવલિંગ (Colourful Shivling) દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. આ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આવું કેવી રીતે શક્ય છે. જી હાં તમે બરાબર વાંચ્યું છે. ચંબલ નદીની કોતરોમાં આવેલા આ શિવ મંદિરને લોકો 'અચલેશ્વર મહાદેવ' મંદિરના નામે ઓળખે છે. આજે અમે તમને આ મંદિરના શિવલિંગના અનોખા રહસ્ય વિશે જણાવીશું...

દિવસમાં ત્રણ વખત કલર બદલે છે શિવલિંગ

રસપ્રદ વાત એ છે કે અચલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સવારે લાલ, બપોરે કેસરી અને સાંજે વાદળી જેવું દેખાય છે. જોકે, કેટલાક સંશોધકોનું માનવું છે કે આવું શિવલિંગ પર પડતા સૂર્યના કિરણોના કારણે થાય છે, પરંતુ આ અંગે સાચી જાણકારી વૈજ્ઞાનિકો પણ હજુ સુધી આપી શક્યા નથી. રાજસ્થાનના ધોલપુરમાં આ રસપ્રદ નજારો જોવા માટે ઘણા લોકો તો સવારથી સાંજ સુધી મંદિરમાં રોકાય છે. આ 2500 વર્ષ જૂના મંદિરનું બીજું મુખ્ય આકર્ષણ નંદીની મૂર્તિ છે. એવું કહેવાય છે કે આ મૂર્તિને પાંચ અલગ-અલગ ધાતુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવી છે. 

શિવલિંગની ઊંડાઈને જાણવા કરાયું હતું ખોદકામ

અહીં શિવને સ્વયંભુ કહેવામાં આવ્યા છે. એકવાર કેટલાક લોકોએ શિવલિંગની ઊંડાઈને જોવા માટે ચારે બાજુથી ખોદવાનું શરૂ કર્યું. જોકે, ઊંડાઈ જોઈને ત્યાં ઉભેલી દરેક વ્યક્તિ હેરાન રહી ગઈ અને આ પ્રક્રિયાને અટકાવી દેવામાં આવી હતી. કેટલાક લેખો અનુસાર, એવું પણ કહેવાય છે કે આ મંદિર ભગવાન શિવના પગના અંગૂઠાના નિશાનની આસપાસ બનાવવામાં  આવ્યું હતું.  

તમામ મનોકામના થાય છે પૂર્ણ

આ મંદિર સાથે લોકોની આસ્થા એટલી જોડાયેલી છે કે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગના દર્શન કરવાથી જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય, અહીં દર્શન કરવાથી તમને દરેક સમસ્યાથી છુટકારો મળશે. એટલું જ નહીં લોકો એવું પણ માને છે કે કુંવારા છોકરા-છોકરીઓના શિવલિંગના દર્શન કરવાથી તેમને મનપસંદ વર-વધૂ મળે છે. આ જ કારણ છે કે અવિવાહિત લોકો અહીં 16 સોમવાર અને શ્રાવણ મહિનામાં જળ ચઢાવવા આવે છે. 

    follow whatsapp