Chandipura virus: ગુજરાતમાં કોરોના બાદ એક નવા વાયરસે દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે. અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મૃત્યુ થયું છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પગલે અત્યાર સુધીમાં કુલ 6 બાળકોના મૃત્યુ થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
અરવલ્લીમાં બાળકનું થયું મૃત્યુ
અરવલ્લીના મેઘરજની હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ એક બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કૂલ 6 જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા 12 છે. 12માંથી ચાર કેસ સાબરકાંઠા જિલ્લામાં નોંધાયા છે, ત્રણ પડોશી જિલ્લા અરવલ્લીમાં નોંધાયા છે. આ ઉપરાંત એક-એક કેસ મહિસાગર અને ખેડામાં નોંધાયા છે. બે દર્દી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશથી આવેલો છે. તેઓને ગુજરાતમાં સારવાર આપવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 6 બાળકોના થયા મોત
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે 6 મોત નોંધાયાં છે, પરંતુ તમામના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઇવી)માં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તે મોત ચાંદીપુરા વાયરસના કારણે થયા છે કે નહીં.
ગભરાવવાની જરૂર નથીઃ આરોગ્ય મંત્રી
તેમણે જણાવ્યું હતું કે, આ બીમારીથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને આ કોઈ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.
શું છે લક્ષણો?
હાRગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા
ADVERTISEMENT