મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઈ, શ્રદ્ધાળુઓએ રાસ-ગરબા અને હુડા રાસની બોલાવી રમઝટ

Gujarat Tak

• 06:10 PM • 07 Jul 2024

અષાઢી બીજના પાવન પર્વે જ્યારે વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ત્યારે મોરબીમાં પણ વર્ષોથી પરંપરાગત રીતે મચ્છુ માતાજીની રથયાત્રા યોજવામાં આવે છે.  આજે (7 જુલાઈ) મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. 

Morbi Machhu mataji

મચ્છુ માતાજીની રથયાત્રા (મોરબી)

follow google news

Machhu Mata Rath Yatra in Morbi : આજે મોરબીમાં મહેન્દ્રપરા ખાતેથી મચ્છુ માતાજીની રથયાત્રાનો શુભારંભ થયો હતો. જેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો સહિતના વિવિધ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ માલધારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી રથયાત્રામાં જોડાયા હતા. મચ્છુ માતાજીના કાંઠે પહોંચીને રથયાત્રા પૂર્ણ કરાઈ હતી. તો આ પ્રસંગે મચ્છુ માતાજીના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ (ફરાળ), ડાક ડમરૂ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

રાસ-ગરબા અને હુડા રાસની રમઝટ બોલાવી

મચ્છુ માતાજીની રથયાત્રામાં અનેક જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ રાસ-ગરબા અને હુડા રાસની રમઝટ બોલાવી હતી. 

ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રથયાત્રાનું કર્યું સ્વાગત

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. મચ્છુ માતાજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. સમગ્ર રથયાત્રાના માર્ગ પર વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ હતી. તો આ સાથે મોરબીમાં ભગવાન જગન્નાથની પણ રથયાત્રા યોજાઈ હતી.

કયા કયા વિસ્તારમાંથી પસાર થઈ રથયાત્રા

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ હતી. જે શહેરના પરા બજાર, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફરીને દરબાર ગઢ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર ખાતે પૂર્ણ કરાઈ હતી. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.

શું છે લોકવાયકા?

એવું કહેવામાં આવે છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી. જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું. ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી. જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો. મોરબીમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આ રથયાત્રા નીકળી ન હતી, પરંતુ આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવતાં તેમાં અંદાજે 35થી 40 હજાર કરતાં વધુ લોકો રથયાત્રામાં અને મહા પ્રસાદમાં જોડાયા હતા.

    follow whatsapp