Rajkot Game Zone Fire Tragedy : ગત મહિને રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગે સમગ્ર ગુજરાતને હચમચાવી દિધું છે. આ અગ્નિકાંડમાં અનેક બાળકો સહિત 27 લોકોના જીવ ગયા છે. ત્યારે હવે રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં અધિકારીઓને ટકોર કરી હતી.
ADVERTISEMENT
આપણી ક્યાંકને ક્યાંક ભૂલ થાય છે : ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ અગ્નિકાંડ અંગે સૂચક નિવેદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઈક ભૂલ થઈ છે. આપણને એમ થાય કે આટલું બધુ કામ કરીએ છીએ છતાં ક્યાંકને ક્યાંક ભૂલ થાય છે. સૌથી પહેલી પ્રાયોરિટી આપણી માણસના જીવની છે. લોકોનો જીવ બચાવવા અધિકારી હોય કે પદાધિકારી હોય તેમાં કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ તેનાથી વિકાસ થાય. રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. વિકાસ પાછળ દોટ મૂકીએ એનું જ ધ્યાન નહિ રાખવામાં આવે તો કોઈ મતલબ નથી.'
નવી SoP અંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'આપણે SoP બનાવી દીધી છે. પબ્લિક ડોમેઈન પર પણ મૂકી છે. કંઈક ઉમેરવા જેવું લાગતું હોય તો લોકો સૂચન કરી શકે છે.'
ગેરકાયદેસર કામ શરૂઆતમાં જ આપણે અટકાવવાનું છે : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની ટકોર કરતા કહ્યું કે, 'વિકાસના કામોની સમીક્ષા અઠવાડિયામાં બે વાર થવી જોઈએ. જ્યાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યાં સરકારી ઓફિસમાં પાનની પિંચકારી મારવામાં આવે છે. મીડિયામાં આવતા અહેવાલો પણ ધ્યાનમાં લેવા જોઈએ. ગેરકાયદેસર કામને શરૂઆતમાં જ રોકી લેવુ જરુરી છે. આ સાથે નાની નાની ફરિયાદોના નિવારણ થવા જરૂરી છે. પ્રજા જે વીડિયો બનાવીને મોકલે છે એની પર ધ્યાન આપવું જરૂરી છે.'
ADVERTISEMENT