ભાવનગરઃ ભાવનગરમાં પરંપરાગત ભગવાન જગન્નાથની 38મી રથયાત્રાનો આરંભ થયો છે. 17.5 કિલોમીટરના રૂટ પર પ્રભુ નગરચર્યાએ નિકળ્યા છે. આ સમયે ભાવનગરના યુવરાજ અને મહારાજના હાથે પહિંદ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રાને માજી સૈનિક સંગઠન દ્વારા સલામી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી અને મહારાજા વિજયરાજસિંહજીના હાથે પહિન્દ વિધિ કરીને રાજકીય આગેવાનો, સાધુ સંતો, મહંતોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. રથયાત્રામાં મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, તેમજ 100થી વધુ ટ્રક, બે જીપ, 20 ટ્રેક્ટર, 15 છકરડા, 2 ગજરાજ, 6 ઘોડા અને 4 અખાડા સહિત જુદી જુદી રાજ મંડળીઓ અને ગણેશ ક્રીડા મંડળ દ્વારા જીમનાસ્ટીક, સ્કેટિંગના દાવપેચ, બોડિ બિલ્ડર્સ, સત્સંગ મંડળો, ડોલ નગારા તેમજ ડીજે સિસ્ટમ સહિતના આકર્ષણો કેન્દ્ર બિન્દુ બન્યા હતા.
17.5 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સ્વાગત વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી , ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા , મેયર કીર્તિબેન, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ , સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુ ધામેલીયા અને સંતો મહંતોની હાજરી જોવા મળી. રથયાત્રામાં માનવમેહરામન ભગવાનનાં દર્શન માટે ઉમટી પડ્યું હતું. રથયાત્રા સુભાષનગર નિજ મંદિરે રાત્રે 10 વાગે નિજ મંદિર પરત ફરશે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT