ભરૂચમાં કેમિકલવાળું ઝેરી પાણી પીતા 25થી વધુ ઊંટના તડપી તડપીને મોત, માલધારીને લાખોનું નુકસાન

Yogesh Gajjar

• 07:30 AM • 23 May 2023

દિગ્વિજય પાઠક/ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 થી વધુ ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક/ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 થી વધુ ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો છે. એક બાદ એક અચાનક ટપોટપ ઊંટે દમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું છે. ત્યારે GPCBની ટીમે ભરૂચથી તપાસ માટે ટીમ રવાના કરી છે.

કેમિકલવાળું પાણી પીવાથી ઊંટનું મોત
પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે આ ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક સાથે 25 જેટલાં ઊંટના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણના દુશ્મન કેટલાક જવાબદાર તત્વોના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું જેને ઊંટ પી ગયા
પશુપાલકે રહેમાનભાઈ જતેના કહેવા મુજબ, તેઓ રવિવારે બપોરે પોતાના 75 જેટલા ઉંટને ચાંચવેલ ગામ ખાતે તળાવમાં પાણી પીવડાવવા લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ગામની સીમમાં ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું જે આ ઊંટ પી જતા તડપી તડપીને તેમનું મોત થયું હતું.

ખુલ્લામાં કેમિકલ ઢોળનારા સામે કાર્યવાહીની માંગ
હાલ એક સાથે 25થી વધુ ઊંટના મોતનો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્રમાં જાણ કરવાની તજવીજ હાથધરી છે, સાથે જીપીસીબી સહિતના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણના દુશ્મન બનેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

    follow whatsapp