Ahmedabad Rath yatra: રથયાત્રાના પર્વ પર અમદાવાદ બન્યું ભક્તિમય: આજે નારાયણની નગરચર્યા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Gujarat Tak

• 08:01 AM • 07 Jul 2024

Ahmedabad Rath yatra: આજે અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે, આ દરમિયાન નારાયણની નગરચર્યાનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Ahmedabad Rath yatra

Ahmedabad Rath yatra

follow google news

Ahmedabad Rath yatra 2024: અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી.  ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ચાલો જાણીએ કે આજનો નાથની નગરચર્યાનો સમગ્ર કાર્યક્રમ કહેવો રહેશે.  

Ahmedabad Rath Yatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન

નારાયણની નગરચર્યાનો કાર્યક્રમ

સવારે 7 વાગ્યે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ 
સવારે 9 વાગ્યે AMC ઓફિસ પાસે પહોંચશે. જ્યાં નગર સેવક તરીકે નગરપતિ એટલે કે મેયર સહિત અન્ય લોકો ભગવાનનું સ્વાગત કરશે
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા પહોંચશે, જ્યાં નગરજનો આરતી ઉતારી ભગવાનનું સ્વાગત કરશે
સવારે 10.30 વાગ્યે ખાડીયા ચાર રસ્તા પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીનું ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત અનેક આગેવાનો રથ પૂજન અને નાથનું પૂજન કરે છે 
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ પહોંચશે, જ્યાં વર્ષોથી શિરાના પ્રસાદનું મહત્ત્વ રહેલું છે
બપોરે 12 વાગ્યે સરસપુર પહોંચશે, જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે અને અહીંયા ભગવાનનું મામેરુ કરવામાં આવે છે અને થોડીક વાર માટે રથ અહીંયા વિરામ કરે છે.
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી આગળ પ્રયાણ કરશે
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ પહોંચશે. નિજ મંદિર પરત ફરતા રથોનું પોલીસ પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવે છે
બપોરે 2.30 વાગ્યે પહોંચશે, પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજાની વચ્ચે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ વધારી દેવામાં આવે છે. સાથે જ સાંકળી શેરીઓ હોવાથી ખૂબ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં કોમી એકતાનું ઉદાહરણ અને કબૂતર ઉડાડીને મુસ્લિમ સમાજના લોકો પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે અને દિલીપદાસજીનું સ્વાગત મંદિરના મહંત તરીકે કરતા હોય છે. કહેવામાં આવે છે કે વર્ષોથી આ રથયાત્રાના રૂટમાં અહીંયા પરંપરાગત રીતે નરસિંહદાસજીનું પણ સ્વાગત કરવામાં આવતું હતું અને હવે એ જ કોમી એકતાનું ઉદાહરણ અહીંયા પણ જોવા મળે છે.
બપોરે ​​​​​3.15 વાગ્યે દિલ્હી ચકલા રથ પહોંચશે.
બપોરે ​​​​​​3.45 વાગ્યે શાહપુર દરવાજા પહોંચશે. આ વિસ્તારને સૌથી સંવેદનશીલ વિસ્તારની માનવામાં આવે છે, અને પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવે છે.
સાંજે 5 વાગ્યે ઘી કાંટા પહોંચશે, વેપારીઓ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, સાથે સોના ચાંદીના ઘરેણા સહિતની પણ ભગવાનને ભેટ આપવામાં આવે છે. કહેવાય છે કે આ વિસ્તારમાં નાનામાં નાના વેપારીથી લઈને મોટામાં મોટા વેપારીઓ ભગવાન આંગણે આવ્યા હોવાથી યથાશક્તિ મનગમતી ભેટો આપતા હોય છે.
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકામાં રથયાત્રા પહોંચશે, ત્યાં શ્રીફળ ચઢાવવાનું અનેરું મહત્ત્વ હોય છે, વર્ષોથી અનેક માનતાઓ જેને રાખી હોય અને તે મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ભગવાનને શ્રીફળનો પ્રસાદ અહીંયા અર્પણ કરવામાં આવે છે.
સાંજે 6.30 વાગ્યે માણેકચોક પહોંચશે. ત્યારબાદ નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે સોની માર્કેટમાંથી રથ પસાર થાય છે, ત્યારે અનેક જવેલર્સ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. સાથે જ ભગવાનની નજર ઉતારવાનું પણ અહીંયા વિશેષ મહત્ત્વ રહેલું છે.
સાંજે 8.30 વાગ્યે નિજ મંદિર પરત, અહીંયા ભગવાનને એક દિવસ મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવવી પડતી હોય છે, અને બીજા દિવસે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.

નગરચર્યા પર નીકળતા રથોની વિશેષતા

ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બીરાજી અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના છે અને બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોરડાનું નામ સ્વર્ણચૂડ છે. તો જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની છે. સૌથી ઊંચો જગન્નાથજીનો રથ હોય છે.

    follow whatsapp