India Alliance Congress: સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં ઈન્ડિયા બ્લોકની મોટી બેઠક યોજાઈ હતી. આ પછી ગઠબંધનના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી 2024માં INDIA ગઠબંધન 295થી વધુ સીટો જીતશે.
ADVERTISEMENT
અઢી કલાક સુધી ઈન્ડિયા ગઠબંધનની બેઠક
તમને જણાવી દઈએ કે આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી. જેમાં લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. ખડગેએ જણાવ્યું કે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
આજની બેઠકમાં ઈન્ડિયા બ્લોકના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, સપાના વડા અખિલેશ યાદવ, એનસીપીના નેતા શરદ પવાર, જિતેન્દ્ર અવ્હાડ, AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, DMKના ટી.આર. બાલુ, RJDમાંથી તેજસ્વી યાદવ અને સંજય યાદવ, JMMમાંથી ચંપાઈ સોરેન અને કલ્પના સોરેન, નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂક અબ્દુલ્લા, સીપીઆઈમાંથી ડી. રાજા, CPI(M)માંથી સીતારામ યેચુરી, શિવસેના (ઉદ્ધવ જૂથ)માંથી અનિલ દેસાઈ, CPI (ML)માંથી દિપાંકર ભટ્ટાચાર્ય અને બિહારની VIP પાર્ટીમાંથી મુકેશ સાહની સામેલ હતા.
TMCએ બેઠકમાં ન આપી હાજરી
નોંધનીય છે કે પંજાબમાં મતદાન પ્રક્રિયાની જવાબદારી સંભાળ્યા બાદ સીએમ માન આજે દિલ્હી પહોંચી ગયા છે. પરંતુ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. મતદાનમાં પોતાના ટોચના નેતાઓની વ્યસ્તતાને કારણે તૃણમૂલ કોંગ્રેસે આ બેઠક ટાળી છે.
તેમના સિવાય તમિલનાડુના સીએમ સ્ટાલિને પણ બેઠકમાં ભાગ લીધો ન હતો અને તેમના સ્થાને ટીઆર બાલુએ આજે બેઠકમાં હાજરી આપી હતી.
ચૂંટણીમાં કામગીરી અંગે ચર્ચા
બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ ચૂંટણી પરિણામો પહેલા તેમની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. વિપક્ષી ગઠબંધન દાવો કરી રહ્યું છે કે તે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને કેન્દ્રમાં સત્તામાં પાછા ફરતા અને પોતાની સરકાર બનાવવાથી રોકવામાં સફળ રહેશે.
ADVERTISEMENT