'એક રાત પહેલા પેપર મળ્યું, ફુવાએ સેટિંગ કરાવ્યું હતું', NEET પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો

Gujarat Tak

20 Jun 2024 (अपडेटेड: Jun 20 2024 11:03 AM)

NEET Paper Leak: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી અનુરાગ યાદવની કબૂલાત સામે આવી છે. પોલીસ સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેણે કહ્યું છે કે, જે પ્રશ્નપત્ર લીક થયું હતું તે જ હતું જે પરીક્ષામાં આવ્યું હતું અને પરીક્ષામાં 100 ટકા તે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

વિરોધ કરતા વિદ્યાર્થીઓની તસવીર

NEET paper leak

follow google news

NEET Paper Leak: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી અનુરાગ યાદવની કબૂલાત સામે આવી છે. પોલીસ સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેણે કહ્યું છે કે, જે પ્રશ્નપત્ર લીક થયું હતું તે જ હતું જે પરીક્ષામાં આવ્યું હતું અને પરીક્ષામાં 100 ટકા તે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નપત્ર મારી પાસે એક દિવસ પહેલા આવ્યું હતું. અનુરાગે કહ્યું કે ફુઆએ સેટિંગ કરાવ્યું હતું અને તેને કોટાથી પટના બોલાવ્યો હતો. દરેક પ્રશ્નનો જવાબ રાત્રે ગોખાવ્યો હતો. પરીક્ષા પછી પોલીસે મારી ધરપકડ કરી.

આ પણ વાંચો

પહેલીવાર NEETમાં 67 વિદ્યાર્થીઓ ટોપર બન્યા

હકીકતમાં, જ્યારે NEET પરીક્ષાનું પરિણામ 4 જૂને આવ્યું ત્યારે પ્રથમ વખત 67 વિદ્યાર્થીઓ ટોપર બન્યા હતા અને 720માંથી 720 માર્ક્સ મેળવ્યા હતા. ટોપર્સની યાદી જોયા બાદ NEET પરીક્ષામાં છેડછાડનો મુદ્દો ઉઠ્યો હતો. 13 જૂનના રોજ NTAએ નિર્ણય લીધો હતો કે ગ્રેસ માર્કસવાળા વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો હજુ પણ અટક્યો નથી. બિહાર અને ગુજરાતમાંથી પેપર લીક થવાના સમાચારોએ NTAની વિશ્વસનીયતા અને પારદર્શિતા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે, તેથી જ વિદ્યાર્થીઓ આ મામલે CBI તપાસની માંગ કરી રહ્યા છે. પેપરલીક કેસમાં પટના અને પંચમહાલમાંથી ઘણી ધરપકડ કરવામાં આવી છે. પટનામાં 4 વિદ્યાર્થીઓ સહિત 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પેપર લીક થયું હતું અને પરીક્ષા પાસ કરાવવા માટે આ ટોળકીએ બાળકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. પંચમહાલમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી અને સાચા જવાબો ભરીને આન્સરશીટ જમા કરાવતી હતી.

પરીક્ષાની આગલી રાત્રે પેપર મળ્યું

આ મામલે પોલીસ તપાસ પટનાના જુનિયર એન્જિનિયર સિકંદર પ્રસાદ યાદવેન્દુ સુધી પહોંચી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. તેણે કહ્યું કે તે પણ પરીક્ષામાં ગેરરીતિમાં સામેલ છે અને તેણે તેના ભત્રીજા અનુરાગ યાદવ માટે ગેરરીતિઓમાં ભૂમિકા ભજવી છે. પટનાના શાસ્ત્રીનગર પોલીસે અનુરાગ યાદવની પૂછપરછ કરી અને તેનું કબૂલાતનું નિવેદન નોંધ્યું.

અનુરાગે દાવો કર્યો છે કે પરીક્ષાના દિવસે તેને સેન્ટર પર એ જ પેપર મળ્યું જે એક દિવસ પહેલા તેને આપવામાં આવ્યું હતું. તેને આખી રાત દરેક પ્રશ્ન ગોખાવવામાં આવ્યા હતા. 100 ટકા સમાન સવાલો પૂછવામાં આવ્યા હતા.

અનુરાગે નિવેદનમાં શું નોંધાવ્યું?

"મારું નામ અનુરાગ યાદવ (22 વર્ષ) છે. હું પરિદા પોલીસ સ્ટેશન હસનપુર, જિલ્લો સમસ્તીપુરનો રહેવાસી છું. હું શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર તેજ નારાયણ સિંહની સામે કોઈ પણ જાતના ડર કે દબાણ કે લાલચ વગર મારું નિવેદન આપી રહ્યો છું. હું કોટામાં એલન કોચિંગ સેન્ટરમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. મારા ફુઆ સિકંદર યાદવેન્દુ મ્યુનિસિપલ કાઉન્સિલ, દાનાપુરમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે. મને મારા ફુઆ દ્વારા કહેવામાં આવ્યું હતું કે NEET ની પરીક્ષા 5મી મે 2024 ના રોજ છે. કોટાથી પાછા આવી જા. પરીક્ષાની સેટિંગ થઈ ગઈ છે. હું કોટાથી પાછો આવ્યો અને મારા ફુઆએ મને 4 મે 2024ની રાત્રે અમિત આનંદ, નીતિશ કુમાર સાથે છોડી દીધો. NEET પરીક્ષાનું પ્રશ્નપત્ર અને ઉત્તરવહી અહીં આપવામાં આવી હતી. રાત્રે ભણવાયું અને ગોખાવાયું. મારું કેન્દ્ર ડીવાય પાટીલ સ્કૂલમાં હતું. જ્યારે હું પરીક્ષા આપવા માટે શાળાએ ગયો ત્યારે જે પ્રશ્નપત્ર ગોખાવાયું હતું, તે જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા. પરીક્ષા પછી અચાનક પોલીસ આવી અને મને પકડી લીધો. મેં મારો ગુનો સ્વીકારી લીધો. આ મારું નિવેદન છે.

સિકંદરે ચોંકાવનારા ખુલાસા કર્યા

સિકંદર પ્રસાદ યાદવેન્દુ બિહારના દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં JE છે. તેણે તાજેતરમાં તેની કબૂલાત નોંધમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સિકંદરે કહ્યું કે, તેણે NEETના ચાર ઉમેદવારો આયુષ રાજ, શિવાનંદન કુમાર, અભિષેક કુમાર અને અનુરાગ યાદવને પટનામાં રહેવામાં મદદ કરી હતી. અનુરાગ તેનો ભત્રીજો હતો. તે તેની માતા રીના કુમારી સાથે પટના આવ્યો હતો.

યાદવેન્દુએ કહ્યું કે તે એવા રેકેટના સંપર્કમાં હતો, જેણે માત્ર NEET જ નહીં પરંતુ બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક કર્યા હતા. આ ઉપરાંત ઉમેદવારો જ્યાં રોકાયા હતા તે ગેસ્ટ હાઉસના બિલ પણ મેળવી લેવાયા છે. ગેસ્ટ હાઉસની બિલ બુકમાં એવા 'મંત્રીજી'નો પણ ઉલ્લેખ છે કે જેમણે અનુરાગ યાદવ અને તેમના સહયોગીઓને રહેવાની સુવિધા આપી હતી. આ ગેસ્ટ હાઉસ પટના પ્રાણીસંગ્રહાલય અને પટના એરપોર્ટ પાસે આવેલું છે. આ અંગે બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ કહ્યું કે ગેસ્ટ હાઉસમાં જે લોકો પકડાયા છે તેઓ કોઈક પ્રીતમ સાથે સંબંધિત છે.

    follow whatsapp