Ahmedabad: CAA હેઠળ 188 હિન્દુ શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા, અમિત શાહે વિપક્ષને લીધું આડે હાથ

Yogesh Gajjar

• 02:49 PM • 18 Aug 2024

Amit Shah on CAA: દેશમાં લાગુ કરાયેલા નાગરિક સુધારા અધિનિયમ (CAA) હેઠળ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પડોશી દેશોના હિન્દુ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા પત્રો આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું હતું.

નાગરિક્તાનું પ્રમાણપત્ર એનાયત કરતા ગૃહમંત્રીની તસવીર

CAA

follow google news

Amit Shah on CAA: દેશમાં લાગુ કરાયેલા નાગરિક સુધારા અધિનિયમ (CAA) હેઠળ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પડોશી દેશોના હિન્દુ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા પત્રો આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું હતું.

ગુજરાતમાં રહેતા વિદેશી હિન્દુઓને મળી નાગરિકતા

કેન્દ્રીય મંત્રી અમિત શાહે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, રાજકોટ અને વડોદરામાં રહેતા હિન્દુ સ્થળાંતર કરનારાઓને CAA હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું હતું. અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પડોશી દેશોના 188 હિંદુ ઈમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી આવા 188 લોકોને શરણાર્થી કહેવાતા હતા, તેમને ભારત માતાના પરિવારમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આજે હું ફરી કહું છું કે, CAA માત્ર નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાર્યક્રમ છે. વિપક્ષની તુષ્ટિકરણની નીતિને કારણે દેશમાં આશ્રય માટે આવેલા લઘુમતીઓને આજ સુધી ન્યાય મળી શક્યો નથી.

અમિત શાહે કોંગ્રેસ અને INDI અલાયન્સ પર કર્યા આક્ષેપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પાડોશી દેશોમાં રહેતા લઘુમતીઓ પર માત્ર પાડોશી દેશમાં જ નહીં પરંતુ આપણા દેશમાં પણ અત્યાચાર કરવામાં આવે છે. INDI એલાયન્સે તેમને લાભો આપ્યા નથી, અમે તેમને અધિકારો આપ્યા છે. અમિત શાહે કહ્યું કે, ધર્મના આધારે કોઈ દેશનું વિભાજન ન થવું જોઈએ પરંતુ ભારતનું વિભાજન થયું. તે સમયે ઘણા રમખાણો થયા હતા, જે સ્વાભાવિક હતું. તે સમયે જ્યારે વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોંગ્રેસે લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી આવતાં જ તેઓ આ નિર્ણયથી પલટી જતા. નેહરુ અને ગાંધીજીએ 1947, 1948, 1950ના વર્ષોમાં આપેલા વચનો વોટબેંકના કારણે ભૂલી ગયા હતા, તેઓ વિચારતા હતા કે લઘુમતીઓને નાગરિકતા આપવાથી આપણા મતદારો નારાજ થશે.

ગૃહમંત્રી અમિત શાહે દેશની અત્યાર સુધીની તમામ સરકારોને સવાલો પૂછ્યા અને કહ્યું કે, જેઓ અત્યાર સુધી સત્તામાં રહ્યા છે તેઓને હું પૂછવા માંગુ છું કે આ બધાનો શું વાંક હતો? તમે સરહદ પરથી આવતા ઘૂસણખોરોને નાગરિક બનાવ્યા અને જેમને નાગરિક બનાવવાના હતા, તમે કહ્યું કે દેશમાં તમારું કોઈ સ્થાન નથી. પરંતુ 2014માં અમારું વચન હતું કે જો ભાજપને જનાદેશ મળશે તો અમે CAA લાવશું અને આજે અમે આ તમામ લઘુમતીઓને ન્યાય આપવાનું શરૂ કર્યું છે.

188 લોકો ભારત માતાનો પરિવાર બન્યા

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, આજે હું સ્પષ્ટ કહી રહ્યો છું, હું લાંબા સમય સુધી મૌન રહ્યો. વર્ષ 2019માં CAA કાયદો બન્યો, ત્યારથી એવી ગેરસમજ ફેલાવવામાં આવી હતી કે CAAને કારણે મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવશે, પરંતુ હું ફરીથી કહું છું કે, આ નાગરિકતા લેવા માટેનો કાયદો નથી પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે. દેશમાં તુષ્ટિકરણની નીતિના કારણે અત્યાર સુધી જે ન થઈ શક્યું તે હવે અમે કરી રહ્યા છીએ. આ લઘુમતીઓને 2019 થી લાભ કેમ મળ્યો નથી તે પણ એક પ્રશ્ન છે, કારણ કે આ કાયદાને લઈને દેશમાં અફવાઓ ફેલાવવામાં આવી હતી, રમખાણો આયોજિત કરવામાં આવ્યા હતા, પરંતુ આજે આ 188 લોકો ભારત માતાનો પરિવાર બનીને ખુશ છે.

અમિત શાહે કહ્યું, દેશની કેટલીક સરકારો હજુ પણ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, પરંતુ હું દેશમાં હાજર શરણાર્થીઓને કહું છું કે જો તમે અરજી કરશો તો તમારી નોકરી અને ઘર રહેશે, તમારી સામે કોઈ કેસ નહીં થાય. કાયદા હેઠળ તમને નાગરિકતા આપશે. તમને નાગરિકતા આપવામાં વિલંબ સરકારના કારણે છે, તમારા કારણે નહીં. જો કોઈ રાજકીય પક્ષ તમને ગેરમાર્ગે દોરે તો તેમની વાત ન સાંભળો, આ કાયદો ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશમાં 27 ટકામાંથી હિન્દુઓ ઘટીને 9 ટકા કેમ થયા?

અમિત શાહે કહ્યું, વિપક્ષ મને સંસદમાં પૂછતો હતો, આજે હું તેમને કહું છું કે, ભાગલા સમયે બાંગ્લાદેશમાં 27 ટકા હિંદુ હતા, આજે 9 ટકા કેમ થઈ ગયા છે? તેઓ બધા ક્યાં ગયા? શું તેઓ આપણા દેશમાં આવ્યા હતા, અથવા તેઓ ધર્માંતરિત થયા હતા?

અમિત શાહે કહ્યું કે, જ્યારે ભાજપે પીએમ મોદીને પીએમ પદ માટે નામાંકિત કર્યા ત્યારે કહ્યું હતું કે દેશની લોકશાહી ભત્રીજાવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણથી પીડિત છે. પરિવારવાદ વિરુદ્ધ પીએમએ 15 ઓગસ્ટે કહ્યું હતું કે 1 લાખ યુવાનોએ દેશની રાજનીતિમાં જોડાવું જોઈએ. આપણા દેશમાં ચાર જ જ્ઞાતિઓ છે. ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો. રામ મંદિરનો મામલો વર્ષોથી લટકતો હતો, આજે ભવ્ય મંદિર બની ચૂક્યું છે. ઔરંગઝેબે તોડેલું મંદિર કાશી બની ગયું છે, પાવાગઢ બનાવી દેવાયું, ટ્રિપલ તલાક, કલમ 370 નાબૂદ કરવામાં આવી. આખરે, CAAમાં સુધારો લાવીને આ કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. અમિત શાહે પોતાનું ભાષણ પૂરું કરતાં અંતે કહ્યું કે, દેશના શરણાર્થી ભાઈઓને અપીલ છે કે જો કોઈ તમને ગેરમાર્ગે દોરે તો ગભરાશો નહીં, નાગરિકતા માટે અરજી કરો, તમારી સામે કોઈ કેસ નહીં થાય, જેમને આજે નાગરિકતા મળી છે. કદાચ કાલે તેમના બાળકો પણ ધારાસભ્ય અને સાંસદ બની જશે.

    follow whatsapp