Budget 2024: 1 કરોડ પરિવારોને મળશે 300 યુનિટ ફ્રી વીજળી, બજેટમાં સરકારનું મોટું એલાન

Gujarat Tak

• 02:20 PM • 23 Jul 2024

Budget 2024 : દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, નોકરીયાતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત દરેક વર્ગ માટે મોટી જાહેરાતો કરી.

Budget 2024

દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી

follow google news

Budget 2024 : દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, નોકરીયાતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત દરેક વર્ગ માટે મોટી જાહેરાતો કરી. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્રીમાં વીજળીને લઈને મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) હેઠળ દેશના એક લાખ કરોડ ઘરોને મફત વીજળી પૂરી પાડવામાં આવશે. 

1 કરોડ લોકોને થશે ફાયદો

બજેટ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના લૉન્ચ કરવામાં આવી છે. આ અંતર્ગત 1 કરોડ લોકોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઘરોને દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે. જેના કારણે આ યોજનાને વેગ મળશે અને વધુને વધુ લોકોને સોલાર પેનલની મદદથી વીજળી પૂરી પાડવામાં આવશે.


નાણામંત્રીની જાહેરાત બાદ પીએમ સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojana) અચાનક ચર્ચામાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો ઈન્ટરનેટ પર પીએમ સૂર્ય ઘર યોજના સંબંધિત માહિતી શોધી રહ્યા છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે શું છે પીએમ સૂર્ય ઘર યોજના અને તેની સાથે જોડાયેલા લોકોને મફત વીજળીનો લાભ કેવી રીતે મળી શકે છે.

શું છે પીએમ સૂર્ય ઘર યોજના?

વાસ્તવમાં, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાનું લક્ષ્ય લોકોને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે, જેથી નજીકના ભવિષ્યમાં વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભરતાને ઘટાડી શકાય. ખાસ વાત એ છે કે આ યોજનાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. 

સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે સરકારે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. નવી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ, 1-કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 kWની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે નવી સબસિડી રૂ. 60,000 હશે, જ્યારે 3 kW રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને રૂ. 78,000ની સબસિડી મળશે. 


300 યુનિટ મફત વીજળી કોને મળશે?

આ યોજનાનો લાભ એવા પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે. જો કોઈ પરિવાર આ વીજળીનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી, તો તેઓ આ વીજળી સરકારને વેચી શકશે.

    follow whatsapp